ગાંધીનગરઃ દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જરૂરિયાતમંદ ગ્રામીણ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ થકી રોજગારી પૂરી પાડતી સંસ્થા એટલે રાજ્ય સરકાર સંચાલિત ‘ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ’-GLPC.
ફંડ આપવામાં આવ્યુંઃ રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી નવેમ્બર-2025માં અંદાજે 8.69 લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ 2.86 લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. 259.90 કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. 1174.63 કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. 1432 કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. આ સ્વ-સહાય જૂથોને રૂ.3652 કરોડ કરતાં વધુ કેશ ક્રેડિટ-લોન પણ વિતરણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં “લખપતિ દીદી” પહેલ હેઠળ અત્યારસુધીમાં કુલ 5.96 લાખ લખપતિ દીદી બનાવવામાં આવી છે. આ ઉપરાંત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે 12 હજારથી વધુ કૃષિ સખીઓને તાલીમ પણ આપવામાં આવી છે તેમજ કૃષિ વિભાગના સહયોગથી 125 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.
સહાય આપવામાં આવીઃ CSR પ્રવૃત્તિ અંતર્ગત રાજ્ય સરકારે સ્ટેટ ગ્રામીણ આજીવિકા મિશન-SRLM હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન, પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ, બાયફ, CSR બોક્સ, સુપથ ફાઉન્ડેશન જેવી અનેક NGO, કંપનીઓ તથા ટ્રસ્ટ સાથે જોડાણ કર્યું છે. જેના પરિણામે કસ્ટમ હાયરિંગ સેન્ટર, કેટલ ફીડ યુનિટ, માઇક્રો એન્ટરપ્રાઇઝ, કેન્ટીન વગેરે જેવી આજીવિકા પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં વિકસાવવામાં આવી શકશે. સ્વ-સહાય જૂથોને સીધી માર્કેટ લિંકેજ માટે સરસ ફેર, સખી ક્રાફ્ટ બજાર ઇવેન્ટ, નેશનલ એક્ઝિબિશન, ગ્રામ હાટ, રેલવે સ્ટેશન પર રિટેલ સ્ટોર, ડિજિટલ કેટલોગ, સોશિયલ મીડિયા પ્રમોશન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ વગેરે મારફતે સહાય પૂરી પાડવામાં આવી રહી છે.